દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા કેન્દ્ર સરકારે મોંઘવારીને વધુ એક ઝટકો આપ્યો છે. હવે હાઇવેનો ઉપયોગ કરતા વાહન ચાલકોએ સોમવારથી વધુ પૈસા ચૂકવવા પડશે. સોમવારથી સમગ્ર દેશમાં રોડ ટોલ ટેક્સના દરમાં સરેરાશ 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હાઇવે યુઝર ફીના વાર્ષિક રિવિઝનનો અમલ અગાઉ 1 એપ્રિલથી કરવામાં આવનાર હતો. પરંતુ લોકસભાની ચૂંટણીને કારણે તે આગળ ધકેલવામાં આવ્યો હતો.
વાર્ષિક પ્રક્રિયાનો ભાગ
દેશમાં નવા બની રહેલ હાઈવે અને એક્પ્રેસવે બનતા જોઈ તેના પર ટ્રેવલ કરતા લોકો આનંદ અનુભવી રહ્યા હતા પરંતુ હવેથી તે આનંદમાણવા માટે વાહનચાલકોએ 5% વધુ ટોલ ભરવો પડશે. NHAIના એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે નવો ટોલ ટેક્સ 3 જૂન, 2024થી લાગુ કરવામાં આવશે. ટોલ ચાર્જમાં ફેરફાર એ જથ્થાબંધ ભાવ સૂચકાંક (CPI) પર આધારિત ફુગાવાના ફેરફારો સાથે જોડાયેલા દરોમાં સુધારો કરવાની વાર્ષિક પ્રક્રિયાનો એક ભાગ છે. નેશનલ હાઈવે નેટવર્ક પર લગભગ 855 યુઝર ટોલ પ્લાઝા છે, જેના પર નેશનલ હાઈવે ફી નિયમો, 2008 મુજબ યુઝર ચાર્જ વસૂલવામાં આવે છે.
બોજ મુસાફરો પર પડે છે ?
અધિકારીઓનું કહેવું છે કે ઈંધણ ઉત્પાદનો પર ટોલ ફી અને ટેક્સમાં વધારો નેશનલ હાઈવેના વિસ્તરણમાં મદદ કરે છે. પરંતુ વિપક્ષો અને ઘણા વાહનચાલકો ટોલ ટેક્સમાં વાર્ષિક વધારાની ટીકા કરે છે અને કહે છે કે તે આવશ્યક ચીજવસ્તુઓના પરિવહનના ખર્ચમાં વધારો કરે છે અને આખરે મુસાફરોને બોજ આપે છે.
વાસ્તવમાં 1 એપ્રિલથી ટોલ ટેક્સ વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ભારતના ચૂંટણી પંચે NHAIને લોકસભા ચૂંટણી પછી હાઈવે પર નવા ટોલ રેટ લાગુ કરવા જણાવ્યું હતું. સામાન્ય રીતે, દેશના મોટાભાગના ટોલ હાઈવે પરના દરો 1 એપ્રિલથી વધારવામાં આવે છે, પરંતુ ચૂંટણી પંચે જણાવ્યું હતું કે નવા દરો લોકસભાની ચૂંટણી પછી જ લાગુ કરવા જોઈએ.
નોંધનીય છે કે ભારતે છેલ્લા દાયકામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિસ્તરણ માટે અબજો ડોલરનું રોકાણ કર્યું છે, જેની કુલ લંબાઈ લગભગ 146,000 કિલોમીટર છે. ભારતનું એક્સપ્રેસ વે રોડ નેટવર્ક એ વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું રોડ નેટવર્ક છે.